કમાલના કલામ
સન 2010 ની આ વાત છે. જ્યારે ડૉક્ટર અબ્દુલ કલામ પોતાની ટિમ સાથે અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં આવેલી ગેટન યુનિર્સીટીમાં લેક્ચર આપવા ગયેલા હતા. ત્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક લિસ્ટ આપવામાં આવેલું હતું અને જેમાં અલગ અલગ 10-12 ટોપિક હતા. એમાંથી એક પસંદ કરીને વિદ્યાર્થીઓએ અડધા કલાકની પ્રસ્તુતિ બનાવવાની હતી. આ વિધાર્થીઓમાં સ્ટેફની નામની એક વિધાર્થિની હતી. સ્ટેફનીએ પોતાની રસરૂચિ અનુસાર વિષય પસંદ કર્યો, "અમેરિકાની સ્કૂલિંગ સિસ્ટમમાં જરૂરી બદલાવો" આવા કંઈક વિષય પર તેણે ખુબ રસપ્રદ પ્રસ્તુતિ રજૂ કરી. સાથે સાથે અનેક નોબલ પ્રાઈઝ વિજેતાઓ અમેરિકામાં થયા હોવા છતાં પ્રાથમિક શિક્ષણમાં રહેલી શાળાકીય ખામીઓ પર એણે ધ્યાન દોર્યું અને એમાં જરૂરી સુધારાઓ પણ બતાવ્યા. ડોક્ટર કલામને સ્ટેફનીની પ્રસ્તુતિ ખુબ પસંદ આવી.
હવે એ આખા દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયો અને સાંજે સ્ટેફની ડૉક્ટર અબ્દુલ કલામને મળવા આવી. તે હાલની એજ્યુકેશન સિસ્ટમ વિશે વધારે માહિતી ડૉક્ટર અબ્દુલ કલામ પાસેથી જાણવા માંગતી હતી. જેથી ઉત્સુકતા સાથે તે ડૉક્ટર કલામ પાસે પહોંચી. ડૉક્ટર અબ્દુલ કલામ પણ સ્ટેફનીને મળ્યા અને ખાસ્સા લાંબા સમય સુધી ચર્ચાઓ કરી. અચાનક સ્ટેફનીએ પોતાના પર્સમાંથી "Wings of Fire" પુસ્તક કાઢ્યું કે જે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની આત્મકથા છે. પુસ્તક બતાવતાં જ એ બોલી ઊઠી, "સર, મેં આપની આત્મકથા અનેક વાર વાંચી છે. મારા મનમાં એક સવાલ ઉદ્દભવે છે કે તમે તમારા જીવનની અગણિત ઉપલબ્ધિઓમાંથી સહુથી મૂલ્યવાન ઉપલબ્ધી કઈ ગણો છો?" પ્રત્યુતર આપતા ડૉક્ટર અબ્દુલ કલામ બોલ્યા, "બેટા મારા જીવનમાં મને ભગવાને ઘણું આપ્યું. પરંતુ એમાંથી અમુક વસ્તુઓ એવી છે કે જે કોઈ શાળા, કોલેજ કે યુનિવર્સિટી મને ના શીખવી શકી હોત. આવી અમુક બાબતો મને સહુથી મૂલ્યવાન લાગી જે હું તને જાણવું છું."
1. 1973 માં જયારે હું ઈસરોમાં કામ કરતો હતો ત્યારે એ સમયના ઈસરોના વડા સતીશ ધવને મને SLV-3 પર કામ કરવાનું કહ્યું અને મને એ પ્રોજેક્ટનો ઇન્ચાર્જ બનાવ્યો હતો. SLV-3 એક સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હતું. અમે ખુબ મહેનત કરી અને એ તૈયાર કર્યું. લોન્ચિંગનો સમય આવ્યો અને એ વખતે કંટ્રોલ રૂમમાં અમે સહુ સાથે હતા. ડૉક્ટર સતીશ ધવન પણ મારી બાજુમાં જ હતા. લોન્ચિંગ થયું અને બધું સરસ ચાલી રહ્યું હતું. પ્રથમ સ્ટેજ એકદમ યોગ્ય રીતે કામ કરી ગયું અને નિયત સમયે અને અંતરે એ છૂટું પણ પડી ગયું. પરંતુ બીજા સ્ટેજમાં કંઈક ખામી સર્જાણી અને અમારું SLV-3 તૂટી પડ્યું. હું ખુબ નિરાશ થયો અને ટેસ્ટિંગ સાઈટ પરથી બહાર આવ્યા તો ત્યાં ટેલિવિઝન ચેનલોના પત્રકારોનું ટોળું અમારું ઇન્ટરવ્યૂ લેવા અમારી પ્રતિક્ષા કરીને ઊભું હતું. હું ઇન્ચાર્જ હોવાથી મારે સંક્ષિપ્ત વિવરણ આપવાનું હતું. પરંતુ એ સમયે ડૉક્ટર સતીશ ધવને મને અટકાવ્યો અને પ્રેસ બ્રિફિંગમાં જઈને પોતે વિવરણ આપ્યું અને આખો SLV-3 પ્રોજેક્ટ પોતે ડાઇરેક્ટ કરી રહ્યા હતા અને નિષ્ફળ ગયો એવું જણાવીને અમારી નિષ્ફળતાનો સમગ્ર દોષ પોતાને માથે લઈ લીધો હતો.
ત્યારબાદ અમે નવેસરથી SLV-3 પર ફરીથી કામ ચાલુ કર્યું. જ્યાં જ્યાં ભૂલ જણાઈ હતી એ બધામાં સુધારો કર્યો અને અમે અમારી ટિમ સાથે 1980 માં SLV-3 સફળતા પૂર્વક લોન્ચ કરી બતાવ્યું. હવે ફરીથી બહાર ઉભેલા પત્રકારોને પ્રેસ બ્રિફિંગ આપવાનું હતું. આ સમયે ડૉક્ટર સતીશ ધવને મને આગળ કર્યો અને SLV-3 ના સફળ લોન્ચિંગ માટે મને ધન્યવાદ આપ્યા અને એની પૂર્ણ ક્રેડિટ પણ મને આપી. આ એક પ્રસંગ શીખવી જાય કે "પોતાની ટીમની નિષ્ફળતાની જવાબદારી એક લીડરે સ્વયં પોતે લેવી અને એની સફળતા સમયે પોતે દૂર રહીને ટીમને આગળ આવવા દેવી જોઈએ." આ એક એવી શીખ હતી જે મને દુનિયાની કોઈ યુનિવર્સિટી કે કોલેજ ના આપી શકી હોત.
2. હૈદરાબાદની "નિઝામ ઇન્સ્ટિયયુટ ઓફ મેડિકલ સાયન્સ" ની મુલાકાત સમયે હું ત્યાં અનેક પોલિયો ગ્રસ્ત બાળકોને મળ્યો હતો. આવા બાળકો ચાલી નહોતા શકતા અને પગમાં કે્લીપર્સ પહેરવા પડતા હતા. હું ત્યાંના હેડ ડૉક્ટર પ્રસાદને મળ્યો અને એમણે મને હોસ્પિટલના કામ વિશેની માહિતી આપી. થોડીક વાર બાદ ડૉક્ટર પ્રસાદે મને ખાનગીમાં એક વાત કહી, "સર અમારી હોસ્પિટલ દ્વારા પોલિયોગ્રસ્ત બાળકોને કે્લીપર્સ આપવામાં આવે છે. પરંતુ આ કે્લીપર્સનું વજન 3 કિલોગ્રામથી વધુ હોય છે જે સ્ટીલ અને અન્ય ભારે પદાર્થોમાંથી બને છે. હવે મોટા લોકો તો એ વજન સાથે ચાલી શકે પરંતુ બાળકો 3 કિલો વજન પહેરીને ચાલી નથી શકતા. તો આ માટે હળવા વજનના કે્લીપર્સ કે અન્ય કોઈ વિકલ્પ શોધી શકાય ખરો?" ડૉક્ટર કલામે કહ્યું, મારા મનમાં ડોક્ટર પ્રસાદના વાક્યએ ચિંતા સર્જી કે નાનું બાળક બિચારું આટલું ભારે વજન કેવી રીતે પગમાં ઉપાડીને ચાલી શકે! એ દિવસે મેં અમારા અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા એન્જીનીયર્સને બોલાવ્યા અને એમને પૂછ્યું કે, "આપણે અગ્નિ મિસાઇલના ઇન્સ્યુલેટર તરીકે બહારના ભાગે જે આવરણ લગાવીએ છીએ એ હળવું અને મજબૂત હોય છે તો એ મટીરિયલમાંથી પોલિયોગ્રસ્ત બાળકોના પગના કે્લીપર્સ કે જે હળવા છતાં મજબૂત હોય એવા બનાવી શકાય કે નહિ?"
મારા સવાલના જવાબમાં અમારા અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટના એક ચીફ એન્જીનીયરે આ શક્ય છે એવુ જણાવ્યું. એ સાથે જ મેં પ્રાયોગિક મોડેલ બનાવવાનું કહ્યું અને જેના બન્યા બાદ નિઝામ મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગ માટે આપ્યા. આ કે્લીપર્સ પહેરીને નાનું પોલિયોગ્રસ્ત બાળક આસાનીથી ચાલી શકતું, દોડી શકતું તેમજ સાઇકલ પણ ચલાવી શકતું હતું. મેં આવા પોલીયોગ્રસ્ત હોવા છતાં ખુશ બાળકોને પહેલાં ક્યારેય નહોતા જોયા. આમ હું FRO (FLOOR REACTION ORTHOSIS) કે્લીપર્સ બનાવી શક્યો એ મારા જીવનની એક એવી ક્ષણ હતી જે હું ક્યારેય નહી ભૂલી શકું.
What can I give પુસ્તકના લેખક શ્રીજન પાલ સિંઘ કહે છે કે ડૉક્ટર અબ્દુલ કલામ બુદ્ધિશાળી હતા એટલે લોકોના હૃદયમાં નહોતા સ્થાન પામ્યા પરંતુ તેઓ બુદ્ધિશાળી હોવા કરતા પણ વધારે સંવેદનશીલ હતા એટલે લોકોને ગમતા હતા. એમના એક એક કામમાં માનવતા અને દયાભાવ મહેકતો હતો. ખરેખર આવો મહામાનવ આખી દુનિયાના તમામ દેશો કરતાં આપણા દેશમાં જ જન્મ્યો એ માટે આપણે સહુ ભગવાનનો આભાર માનીએ એટલો ઓછો છે...
Comments
Post a Comment